હાલ કાના મને દ્વારીકા બતાવ - 1 Siddharth Maniyar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હાલ કાના મને દ્વારીકા બતાવ - 1

પ્રકરણ - ૧

અત્યાર સુધીની મારી તમામ વાર્તામાં કોઇક ને કોઇક બોધ પાઠ આપવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે આ વખતની આ વાર્તામાં ભગવાન પ્રત્યેની અંધશ્રદ્ધા નહીં પરંતુ તેના પરના વિશ્વાસ અને શ્રદ્ધાના વિષયને બતાવવાનો પ્રયાસ કર્યો છે. આશા રાખુ છું કે, તમે મારી બાકીની વાર્તાની જેમ જ આ વાર્તાને પણ પ્રેમ આપશોે.

થોડા વર્ષો પહેલા સોશિયલ મીડિયા પર એક ગુજરાતી ગીત બહુ જ ગાજ્યું હતું, હાલ કાના મને દ્વારીકા દેખાડ... આ ગીત સાંભળતા જ મને યાદ આવી ગઇ ડભોઇના નાનકડાં ગામના એક ગરીબ વાણીયાની વાત...

હવે, તમને થશે કે વાણીયો થોડો ગરીબ હોય. ભગવાન સત્યનારાયણની કથામાં હંમેશા એક ધનીક વાણીયા અને ગરીબ ભૂદેવની વાત આવે છે. ત્યારે કોઇ વાણીયો કઇ રીતે ગરીબે હોઇ શકે પણ હા આ વાત વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના એક નાનકડાં ગામમાં રહેતા વાણીયાની છે. જેનો પરિવાર ખુબ જ ગરીબ હતો. સવાર પડે અને પરિવારમાં એક જ પ્રશ્ન હોય આજે દિવસમાં બે ટંક ભર પેટ ખાવા માટે રૂપિયા ક્યાંથી લાવવા ? પરંતુ તે દરેક વાણીયાની જેમ આ વૈષ્ણવ પરિવારને પણ તેમના કાના પર ભારે શ્રદ્ધા હતી. આ વાત ગરીબ વાણીયા અને તેની તેના કાના પરની શ્રદ્ધાની છે.

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં વાણીયાઓની વસ્તી વધારે છે. આ વાત તાલુકાના એક નાનકડાં ગામની છે. જેમાં એક વાણીયો તેના પરિવાર સાથે મહામુસીબતે જીવન વ્યતિત કરી રહ્યો હતો. વાણીયાનો પરિવાર ખુબ જ ગરીબ હતો. વાણીયાના પરિવારમાં હુંતો હુતી અને વાણીયાના માતા-પિતા હતા. ચાર વ્યક્તિનો પરિવાર ગરીબીમાં જીવી રહ્યો હતો તેમ છતાં વાણીયાના પરિવારને તેમના કાન પર એટલે કે, ભગવાન શ્રીકૃષ્ણ પર ભારે શ્રદ્ધા હતી. તેમને હતું કે, ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે તેમ કર્મ કરતાં રહો. મારો કાન એક દિવસ તેનું ફળ જરૂર આપશે. વાણીયો અને તેની પત્ની જેમ તેમ કરીને પોતાનું પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

ગામના મુખીના ખેતરમાં વાણીયો મજુરી કરે અને વાણીયા પત્ની મુખીના ઘરે ગમાણમાં ગાયોની સરભરા કરે. તેનાથી દિવસ દરમિયાન જે કમાય તેનાથી પોતાનું અને માતા-પિતાનું પેટ ભરે. વાણીયો અને વાણીયન ગમે તેટલી મહેનત કરે પણ માતા-પિતાને કોઇ દિવસ મહેનત કરવા ન જવા દે. તેમના લગ્નને પણ ઘણો સમય વિતી ગયો હતો. પરંતુ વાણીયનના ખોળે અવતરણ ન હતું. જેથી વાણીયાના માતા-પિતાને પણ તે વાતનું ઘણું દુઃખ થતું હતું. જન્માષ્ટમીનો દિવસ હતો. તેની પૂર્વ રાત્રીએ જ વાણીયા અને વાણીયને નેમ લીધી કે કાલે ઘરે લાલાનું પારણું કરીને તેની પાસે દિકરાની બાંધા લેવી છે.

સવાર પડતાની સાથે જ વાણીયો અને વાણીયન માતા-પિતાને ચ્હા અને આગલા દિવસ રાતના રોટલા આપી પોતાના કામ પર જવા નિકળી ગયા. મુખીના ઘરે પહોંચ્યા ત્યાં જ મુખીયાણીએ કહ્યું કે, આજે થોડું વધારે રોકાજે રાતે લાલાનું પારણું કરવાનું છે. ત્યારે વાણીયને કહ્યું કે, બેન આજે મારા ઘરે પણ લાલાનું પારણું છે, તમે કહેશો તે કામ હું વહેલા પતાવીને જઇશ પણ મને આજે વહેલી જવા દો. મારા એ પણ આજે ખેતરેથી કામ પતાવી વહેલા આવી જવાના છે. સાંજે ખેતરેથી કામ પતાવે વાણીયો વાણીયનને લેવા માટે મુખીના ઘરે આવ્યો. ત્યારે વાણીયન કામ કરી રહી હતી. વાણીયાએ કહ્યું કે, હાલ ઘરે જઇએ લાલાના પારણાની તૈયારી કરવાની છે. વાણીયને કહ્યું, તમે બધો સામાન લઇ આગળ જાવ આ થોડું જ કામ બાકી છે પતાવીને હું પાછળ પાછળ આવું છું. વાણીયો તેને વહેલી આવી જવાનું કહી ઘર તરફ જવા નિકળ્યો. વાણીયન પણ પોતાનું તમામ કામ પતાવીને મુખીયાણી પાસે ગઇ અને ઘરે જવાની રજા માગી. મુખયાણી પણ ભોળા મનની હતી એટલે તેને વાણીયનને ઘરે જવાની રજા આપી અને સાથે થોડા ફળ અને માખણ આપ્યું જેથી વાણીયનને લાલાના પારણા કરવામાં પ્રસાદી કરી શકે. મુખીયાણીએ આપેલા ફળ અને માખણ લઇ વાણીયન પણ પોતાના ઘર તરફ જવા રવાના થઇ. વહેલાં ઘરે જવાનું હોવાથી વાણીયન ઉતાવણે પગ ચલાવી રહી હતી.